Sun Apr 19 2026

Logo

દિલ્હી-સુરત વચ્ચે હવાલા નેટવર્કનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશઃ આપના નેતાની કથિત સંડોવણીના આક્ષેપો

1 hour ago
Author: Pooja Shah
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી (આપ) સાથે સંકળાયેલા એક મોટા રાજકીય હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં એક ગેરકાયદે નાણાકીય નેટવર્કનો ખુલાસો થયો છે. અહેવાલ અનુસાર છેલ્લા ચાર મહિનામાં આંગડિયા ચેનલો દ્વારા દિલ્હીથી સુરતમાં કથિત રીતે ₹1 કરોડથી વધુનો વ્યવહાર થયો છે. 

ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક આંગડિયા કંપનીઓ પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ આ કથિત કૌભાંડ બહાર આવ્યું હતું. ફૂટેજમાં લોકો મોટી  રોકડ રકમની ગણતરી કરતા અને ગેરકાયદે ટ્રાન્સફર કરતા જોવા મળ્યા હતા.  પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક કામગીરીને ટેકો આપવા માટે પાર્ટીના ઉચ્ચ અધિકારીઓના સીધા આદેશ હેઠળ દિલ્હીથી ભંડોળ મોકલવામાં આવ્યું હતું.

એવું જાણવા મળ્યું છે કે હિમાંશુ પાહુજા આ કેસમાં કથિત રીતે મુખ્ય સંચાલક છે. પાહુજા અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતા પરંતુ હાલમાં તેઓ આમ આદમી પાર્ટી (મનપા) સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે અને સુરેન્દ્ર ભારદ્વાજના નજીકના માનવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચે તેમની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. તપાસ અનુસાર તેમણે દિલ્હીથી ભંડોળ મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમને હાલ પૂરતા છોડી મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેમની પ્રવૃત્તિઓ દેખરેખ હેઠળ છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

 આ સાથે આકાશ મિશ્રાનું નામ પણ બહાર આવ્યું છે, જે  સુરતના પીપલોદ વિસ્તારમાંથી કાર્યરત છે.  મિશ્રા દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના ભૂતપૂર્વ અંગત સહાયક (પીએ) છે. અને અજય તિવારી મિશ્રાની સાથે કામ કરે છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે મિશ્રા અને તિવારી ફક્ત રિસીવર જ નહોતા, પરંતુ સુરતમાં સ્થાનિક રાજકીય પ્રવૃત્તિઓમાં પણ  સામેલ હતા. પાહુજા વતી ભંડોળ એકત્ર કરવામાં અને વિતરણ કરવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કથિત કાળા નાણાં ના સ્ત્રોતને શોધવા માટે આવકવેરા (આઈટી) વિભાગને ઔપચારિક રીતે સૂચના આપી છે. તપાસનો વિસ્તાર થતાં સુરતના અનેક ઉચ્ચ પ્રોફાઇલ રાજકીય વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે. 

અધિકારીઓને શંકા છે કે આ બિનહિસાબી ભંડોળનો ઉપયોગ ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો. જો આમ થયું હોય તો તે આદર્શ આચાર સંહિતા અને આવકવેરા નિયમોનું સીધું ઉલ્લંઘન છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.