તેલ અવીવ : લેબનોન અને ઇઝરાયલ વચ્ચે 10 દિવસના યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે દક્ષિણ લેબનોન હુમલા કર્યા છે. જેમાં ઇઝરાયલી સૈન્યએ ફરી એકવાર દક્ષિણ પ્રદેશમાં હવાઈ અને તોપથી હુમલા કર્યા છે. ઇઝરાયલી સૈન્યએ આ કાર્યવાહીને નવી યલો લાઇનની દક્ષિણમાં સ્થિત જોખમો સામે લેવામાં આવેલા પગલાં તરીકે વર્ણવી હતી.
આ અંગે મીડીયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર ઇઝરાયલે બેરુતમાં ઘણા ગામડાઓ પર સતત તોપમારો અને મશીનગન ફાયરિંગ કર્યું હતું. વધુમાં, બે અલગ અલગ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
હુમલા સુરક્ષા કારણોસર કરવામાં આવ્યા હતા
ઇઝરાયલના મતે હિઝબુલ્લાહના આતંકીઓ યલો લાઇનની નજીક આવી રહ્યા હતા પરંતુ તેને ઓળંગી ન હતી. જ્યારે બીજા હુમલામાં એક વ્યક્તિને નિશાન બનાવવામાં આવ્યો હતોજે એક ટનલના પ્રવેશદ્વાર તરફ આગળ વધી રહ્યો હતો. જે યલો લાઇનની દક્ષિણમાં સ્થિત હોવાનું જાણવા મળે છે.
ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહી દરમિયાન તે ટનલના પ્રવેશદ્વારને પણ નાશ કરવામાં આવ્યો હતો. ઇઝરાયલી લશ્કરી પ્રવક્તાના મતે, આ હુમલાઓ યુદ્ધવિરામનું ઉલ્લંઘન નથી કરતા અને સુરક્ષા કારણોસર કરવામાં આવ્યા હતા.
સંયુક્ત સમજૂતી અને માળખું સ્થાપિત કરવું જરૂરી
આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકા સાથે આગામી રાઉન્ડની વાટાઘાટો માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. એક ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ એક સંયુક્ત સમજૂતી અને માળખું સ્થાપિત કરવું જરૂરી છે. ત્યારબાદ જ વધુ વાટાઘાટો શક્ય બનશે.
ગયા અઠવાડિયે ઇસ્લામાબાદમાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો પણ કોઈ નક્કર પરિણામ આપી શકી નથી. આ ચર્ચાઓને 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછીની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી વાતચીત તરીકે ગણવામાં આવી રહી છે.