Sun Apr 19 2026

Logo

વીએસઆર કંપનીના ઘણા વિમાન ખામીયુક્ત!!

1 hour ago
Author: Vipul Vaidya
Article Image

પાઇલટ્સ, કર્મચારીઓને પણ અકસ્માતનો ડર  હોવાનો રોહિત પવારનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
: બારામતીમાં અજિતદાદાના વિમાનની દુર્ઘટનાથી મહારાષ્ટ્ર હચમચી ગયું હતું. બધાએ એક મહાન નેતા ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી. વિધાનસભ્ય રોહિત પવારે વીએસઆર કંપની અને તેના માલિક વી. કે. સિંહ સામે મોરચો ખોલ્યો છે. આ કંપનીના વિમાન ખામીયુક્ત છે. પરંતુ તેમણે કેટલાક મોટા રાજકીય પક્ષો પર વી. કે. સિંહ અને કંપનીને બચાવવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે મહારાષ્ટ્રના કેટલાક નેતાઓ પર આમાં હાથ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. દરમિયાન, વીએસઆર કંપનીની તાજેતરની મીટિંગ તોફાની બની ગઈ હતી અને કર્મચારીઓ અને પાઇલટ્સે કંપનીના વિમાન ખામીયુક્ત હોવાનો આરોપ લગાવ્યો છે. તેમના આરોપોથી મોટો ખળભળાટ મચી ગયો છે, એવો દાવો વિધાનસભ્ય રોહિત પવારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કર્યો છે.

‘અજીતદાદાના વિમાન દુર્ઘટના માટે જવાબદાર વીએસઆર કંપનીના મોટાભાગના વિમાન ખામીયુક્ત અને ઉડવા માટે અત્યંત જોખમી છે, તેથી હવે કંપનીના પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સ પણ અકસ્માતનો ડર અનુભવી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલા યોજાયેલી કંપનીની બેઠકમાં પાઇલટ્સ અને અન્ય કર્મચારીઓએ ખામીયુક્ત વિમાનમાં ઉડવા અંગે ભય વ્યક્ત કર્યો હતો, પરંતુ સરકારમાં કેટલાક લોકોનો હાથ ઉપર હોવાથી, તેમને મૌખિક ખાતરી આપવામાં આવી હતી કે ‘સરકાર અમારી સાથે છે, ડરશો નહીં’.

જો કમનસીબે કોઈ અકસ્માત થાય છે, તો પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે શું મેનેજમેન્ટ દ્વારા તેમને આપવામાં આવેલી આ મૌખિક ખાતરી તેમના જીવ બચાવશે,’ એમ વિધાનસભ્ય રોહિત પવારે એક્સ પર જણાવ્યું હતું. તેમણે આ પોસ્ટ દ્વારા કર્મચારીઓની લાગણીઓને વ્યક્ત કરી હતી. 

હવે, જ્યારે કંપનીના કર્મચારીઓ દાવો કરી રહ્યા છે કે વીએસઆર વિમાન ખામીયુક્ત છે, ત્યારે વિધાનસભ્ય રોહિત પવારે કંપની સામે યોગ્ય કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોતાની પોસ્ટ દ્વારા પૂછ્યું છે કે ખામીયુક્ત વિમાન હોવા છતાં સરકાર કંપની પ્રત્યે આટલી દયાળુ કેમ છે.

‘એક તરફ, અજિતદાદાના અકસ્માત પછી, મહારાષ્ટ્ર સરકારે વીએસઆર કંપનીના ઘણા વિમાનોને સદોષ જાહેર કર્યા છે, તો બીજી તરફ, નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરવા છતાં, વીએસઆર કંપની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી જ આ કંપનીના માલિક વી. કે. સિંહને કોઈનો ડર નથી અને તેમનો ઘમંડ દિવસેને દિવસે વધી રહ્યો છે..! શું તે સરકારથી ઉપર થઈ ગયો છે? જેના કારણે સરકાર તેમની સામે કાર્યવાહી કરવામાં ડરે છે!’ એવા આકરા શબ્દોમાં તેમણે સરકારની ઝાટકણી કાઢી છે.