Sun Apr 19 2026

Logo

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ‘મહાયુતિ’માં ઉમેદવારી મેળવવા પડાપડી, એમવીએ 1 જ બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા

2 hours ago
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ:
વિધાન પરિષદની ખાલી પડેલી 9 બેઠકો માટે 12મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓને વેગ મળ્યો છે અને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે બેઠકોની ગણતરીના આધારે જોરદાર સ્પર્ધા થવાની શક્યતા જોવા મળી રહી છે. આ ચૂંટણી વિધાનસભાના સભ્યો વચ્ચે યોજાવાની હોવાથી, તમામ પક્ષોએ તેમના વિધાનસભ્યો પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે.

રાજ્યમાં 288 વિધાનસભા સભ્યો આ ચૂંટણીમાં મતદાન કરશે. 9 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી હોવાથી, જીત માટે ઓછામાં ઓછા 29.8 અથવા પ્રથમ પસંદગીના 30 મતોની જરૂર પડશે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ, મહાયુતિની સંખ્યાત્મક તાકાત મજબૂત છે. ભાજપ (132), શિવસેના શિંદે જૂથ (57) અને એનસીપી અજિત પવાર જૂથ (41)ના 230 થી વધુ વિધાનસભ્યોના સંયુક્ત સંખ્યાબળ સાથે, મહાયુતિ સહેલાઈથી 7થી 8 બેઠકો જીતી શકે છે. આ કારણે, મહાયુતિમાં ઉમેદવારી માટે ભારે પડાપડી જોવા મળી રહી છે અને ઉમેદવારોની ‘ભાઉગર્દી’ જોવા મળી રહી છે.

નિવૃત્ત થયેલા સભ્યો

સભ્યનું નામ    રાજકીય પક્ષ
ઉદ્ધવ ઠાકરે    શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)
નીલમ ગોર્હે    શિવસેના (એકનાથ શિંદે જૂથ)
અમોલ મિટકરી    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)
શશિકાંત શિંદે    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર જૂથ)
રાજેશ રાઠોડ        ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંજય કેનેકર    ભારતીય જનતા પાર્ટી
સંદીપ જોષી    ભારતીય જનતા પાર્ટી
દાદા રાવ કેચે    ભારતીય જનતા પાર્ટી
રણજીતસિંહ મોહિતે-પાટીલ    ભારતીય જનતા પાર્ટી
ચૂંટણી સમયપત્રક
મતદાન: 12 મે 2026 (1:00 અખ થી 4:00 ઙખ)
પરિણામ: 12 મે 2026 (સાંજે 5:00 વાગ્યા પછી)
 

બધાની નજર ઉદ્ધવ ઠાકરેની ઉમેદવારી પર 

અગાઉ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસે શરદ પવારની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. તેથી, હવે વિધાન પરિષદ માટે ઉદ્ધવ ઠાકરેના નામની ચર્ચા ચાલી રહી છે. ઠાકરે પક્ષના વડા હોવાથી, તેમને મહાવિકાસ આઘાડી દ્વારા પહેલી પસંદગી આપવામાં આવે તેવી શક્યતા છે. જોકે, કોંગ્રેસ પાસે 16 વિધાનસભ્યો છે અને તેઓ આ પહેલા પણ સહકાર આપી ચૂક્યા છે, તેથી આ વખતે તેઓ કઈ ભૂમિકા ભજવે છે તે મહત્વપૂર્ણ રહેશે. ઉદ્ધવ ઠાકરેની સુરક્ષિત જીત માટે કોંગ્રેસ અને શરદ પવાર જૂથનો ટેકો મહત્વપૂર્ણ રહેશે. જોકે, ઉદ્ધવ ઠાકરે ઉમેદવારી ન નોંધાવે તો એનસીપી અને કૉંગ્રેસ ટેકો આપશે કે નહીં તે પણ જોવાનું મહત્વનું બની રહેશે. 

રાજ્યસભાની જેમ એકનાથ શિંદે ફરી ઝટકો આપશે?

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે દેશના નિર્ણય લેનારાઓ રાજ્યસભાની ચૂંટણીમાં વરિષ્ઠ નેતાઓને બાજુ પર રાખીને ચૂંટણીમાં ઝટકો આપવાની રણનીતિનો ઉપયોગ કરનારા એકનાથ શિંદે ફરી એકવખત ઝટકો આપવાની તૈયારીમાં છે. 12મી મેના રોજ યોજાનારી વિધાન પરિષદની 9 બેઠકો માટે શિંદે જૂથમાં ગતિવિધિઓએ વેગ પકડ્યો છે.

મહાવિકાસ આઘાડી પાસે હાલમાં લગભગ 46 થી 50 વિધાનસભ્યોનો ટેકો છે. આ તાકાતના આધારે, એમવીએ એક બેઠક સુરક્ષિત રીતે જીતી શકે છે. જોકે, બીજી બેઠક પર ચૂંટણી જીતવા માટે અપક્ષો અને અન્ય નાના પક્ષોને સાથે લેવાના પ્રયાસ કરવા પડશે. 

વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને તેમને બીજી તક મળશે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે, બીજી બેઠક માટે પાર્ટીમાં મોટી સ્પર્ધા છે અને ઘણા નેતાઓ રસ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. વિધાનસભામાં શિવસેનાની સંખ્યાને ધ્યાનમાં રાખીને, બીજી બેઠક સરળતાથી જીતી શકાશે.

દરમિયાન, રાજ્યસભાની જેમ, આ વખતે પણ, અનુભવી નેતાઓને તક આપવામાં આવશે કે નવા ચહેરાને તક આપવામાં આવશે કે કેમ તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તે જ સમયે, એવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે શિંદે ટૂંક સમયમાં પ્રધાનમંડળમાં ફેરબદલ કરી શકે છે અને કેટલાક બિનકાર્યક્ષમ પ્રધાનોને પડતા મૂકી શકે છે. પ્રધાનોના પ્રદર્શન પર નારાજી વ્યક્ત કરવાથી આ ચર્ચાને વધુ બળ મળ્યું છે.