મીરપુરઃ બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝ 1-1ની બરાબરીમાં છે અને ગુરુવારે રમાનારી ત્રીજી તથા નિર્ણાયક વન-ડે પહેલાં આઇસીસીએ બાંગ્લાદેશની ટીમને એક પેનલ્ટી કરી છે જેની ચર્ચા ખાસ કરીને બાંગ્લાદેશ ક્રિકેટમાં થઈ રહી છે.
સોમવારે બાંગ્લાદેશે (Bangladesh) ન્યૂ ઝીલૅન્ડને સિરીઝની બીજી વન-ડેમાં 87 બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવ્યું હતું, પરંતુ એ મૅચમાં બાંગ્લાદેશની ટીમે નિર્ધારિત સમયમાં ઓવર પૂરી નહોતી કરી એટલે આઇસીસી (ICC)એ ટીમની 10 ટકા મૅચ ફી કાપી લીધી છે.
બાંગ્લાદેશને સ્લો ઓવર રેટ બદલ આ દંડ થયો છે. ન્યૂ ઝીલૅન્ડની ટીમ 48.4 ઓવરમાં 198 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. બાંગ્લાદેશનો કૅપ્ટન મેહદી હસન મિરાઝ એ 48.4 ઓવર નિર્ધારિત સમયની અંદર પૂરી નહોતો કરાવી શક્યો. મૅચ રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે ચોક્કસ સમયમાં બે ઓવર ઓછી કરવા બદલ આ પગલું લીધું હતું.
બાંગ્લાદેશે તેન્ઝિદ હસનના 76 રન અને નજમુલ શૅન્ટો (રિટાયર્ડ હર્ટ)ના 50 રનની મદદથી 35.3 ઓવરમાં ચાર વિકેટે 199 રન કરીને મૅચ જીતી લીધી હતી. શુક્રવારની પ્રથમ મૅચમાં ટૉમ લૅથમના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે 26 રનથી વિજય મેળવ્યો હતો.