પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી (એસપી)ના નેતા રોહિત પવારે આજે કહ્યું હતું કે બારામતીમાં 2029ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ 'પવાર વિરુદ્ધ પવાર' લડાઈ નથી ઇચ્છતું, પરંતુ એનસીપી સાથે જોડાયેલા કેટલાક લોકો આવી સ્પર્ધાની તરફેણ કરે છે કારણ કે તેઓ પવાર પરિવારના વારસાને સમાપ્ત કરવા માંગે છે.
તેઓ દેખીતી રીતે ભાજપને નિશાન બનાવી રહ્યા હતા, જે મહારાષ્ટ્રમાં મહાયુતી સરકારનું નેતૃત્વ કરે છે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે સત્તામાં સહભાગી છે.
એનસીપીનું નેતૃત્વ હાલમાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર કરી રહ્યા છે. સુનેત્રા પવાર બારામતી પેટાચૂંટણી માટે મહાયુતિના ઉમેદવાર તરીકે મેદાનમાં છે જેના માટે ગુરુવારે મતદાન થયું હતું.
2029માં બારામતીમાં દિવંગત અજિત પવારના પુત્ર જય અને તેમના પિતરાઇ ભાઇ યુગેન્દ્ર પવાર વચ્ચે સંભવિત લડાઈ અંગેની અટકળો પર વાત કરતા રોહિત પવારે કહ્યું હતું કે, 'બારામતીના લોકોની ઇચ્છા વિરુદ્ધ, (છેલ્લી) લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પવાર વિરુદ્ધ પવાર વચ્ચે સ્પર્ધા થઈ હતી.
ભવિષ્યમાં જો જય તેમની પાર્ટી (એનસીપી) તરફથી ચૂંટણી લડે તો એનસીપી (એસપી) તરફથી યુગેન્દ્ર પવાર પણ મેદાનમાં આવી શકે છે. આ પરિસ્થિતિમાં જનતાની ઈચ્છા ન હોવા છતાં બારામતીમાં પવાર વિરુદ્ધ પવારની લડાઈ થઈ શકે છે.'
(પીટીઆઈ)