Mon Apr 27 2026

Logo

‘સંમતિથી સંબંધ રાખ્યા બાદ બળાત્કારનો આરોપ કેવી રીતે?’ લિવ-ઇન રિલેશનના કેસમાં સુપ્રીમ કોર્ટનો સવાલ

1 hour ago
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એક કેસની સુનાવણી દરમિયાન લીવ ઇન રીલેશન વિષે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. એક મહિલાએ જેના સાથે એ અગાઉ લીવ ઇન રીલેશન હતી એ પુરુષ પર બળાત્કાર, હુમલો અને શોષણનો આરોપ મુક્યો હતો. કોર્ટે જણાવ્યું પુખ્ત વયના લોકો સ્વેચ્છાએ લગ્ન સિવાય સાથે રહેવાનું પસંદ કરે છે, ત્યારે આવા સંબંધો સાથે સહજ રીતે જ જોખમો જોડાયેલા હોય છે.

જસ્ટિસ બી.વી. નાગરત્નાએ મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. મહિલાએ એક પુરુષ પર બળાત્કાર, હુમલો અને શોષણનો આરોપ મુક્યો હતો. મહિલાએ આરોપ મુક્યો કે આરોપીએ તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં તેને છોડી દીધી હતી.

કોર્ટે અવલોકન કર્યું કે લિવ-ઇન રિલેશનશિપમાંથી બહાર નીકળવું એ ફોજદારી ગુનો નથી, લગ્ન કર્યા વગર આવા સંબંધોમાં રહેવામાં જોખમો છે.

સંમતિથી સંબંધ બાદ આરોપ કેવી રીતે?
અવલોકન કરતા જસ્ટિસ બી.વી. નાગરત્નાએ કહ્યું, "આ લિવ-ઇન રિલેશનશિપ છે. મહિલાને લગ્ન વગર પુરુષ સાથે એક બાળક છે, અને હવે મહિલા પુરુષ પર બળાત્કાર અને હુમલોનો આરોપ લગાવી રહી છે. આ શું છે?" 

ન્યાયાધીશ નાગરથનાએ પૂછ્યું, લાંબા ગાળા સુધી સંમતિથી સંબંધ રાખ્યા બાદ જાતીય હુમલાનો આરોપ કેવી રીતે લાગી શકે છે?

ન્યાયાધીશ નાગરથનાએ કહ્યું કે ઘણીવાર આવા પ્રશ્નોને "વિકટીમ-બ્લેમીંગ" ગણાવીને તેની ટીકા કરવામાં આવે છે, સંમતિ હતી કે નહીં એ તપાસ કરવી મહત્વપૂર્ણ છે. જ્યારે સંબંધ સંમતિથી બંધાયો હોય ત્યારે ગુનાનો પ્રશ્ન જ ક્યાં છે?

વકીલની દલીલો અને કોર્ટનો જવાબ:
અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું કે વિધવાને 18 વર્ષની હતી ત્યારે આરોપી તેને મળ્યો હતો અને તેને સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. વકીલે દાવો કર્યો હતો કે આરોપી તે સમયે પરિણીત હતો, પરંતુ મહિલાને તેની જાણ નહોતી.

ન્યાયાધીશ નાગરત્નાએ વકીલને સવાલ કર્યો કે લગ્ન કર્યા વિના મહિલાએ પુરુષ સાથે રહેવાનું અને બાળક પેદા કરવાનું પગલું કેમ ભર્યું? 

વકીલે દાવો કર્યો કે આરોપીએ અન્ય લોકો સાથે પણ આવું કર્યું છે,  ત્યારે ન્યાયાધીશે કહ્યું કે કોર્ટ ફક્ત અત્યારે હાલ અરજદારના કેસથી જ અંગે જ વાત કરી રહી છે.

કોર્ટે કહ્યું કે મહિલા બાળક માટે ભરણપોષણ માંગી શકે છે. પરંતુ લિવ-ઇન રિલેશનશિપ તૂટી જવાને ફોજદારી ગુનો ગણી શકાય નહીં. 

મહત્વપૂર્ણ અવલોકન કરતા ન્યાયાધીશે કહ્યું, "સંબંધ અનૈતિક હોઈ શકે છે, પરંતુ (આવા સંબંધથી જન્મેલું) બાળક ગેરકાયદેસર ન હોઈ શકે. જો લગ્ન થયા હોત, તો બાળકને વધુ સારા અધિકારો મળી શક્યા હોત."