Fri Apr 17 2026

Logo

ઇન્ડિગોના યાત્રીઓ બાદ રોકાણકારો પણ થયા બેહાલ છેલ્લા છ દિવસમાં નોંધપાત્ર રીતે ઘટ્યો શેરનો ભાવ

4 months ago
Author: Himanshu Chavada
Article Image

નવી દિલ્હી: છેલ્લા છ દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ સતત કેન્સલ થઈ રહી છે. જેથી મુસાફરોને હાલાકી પડી રહી છે. જોકે, આ સમસ્યાની અસર ઇન્ડિગો કંપનીના શેર પર પણ પડી છે. ઇન્ડિગોના શેરમાં ઘટાડો થયો છે. ઇન્ડિગોના શેરમાં જેટલો ઘટાડો છેલ્લા છ મહિનામાં નથી થયો, એનાથી પણ વધારે ઘટાડો પાછલા છ દિવસમાં થયો છે.

ઇન્ડિગોના રોકાણકારો થયા બેહાલ

ઇન્ડિગોના યાત્રીઓની જેમ IndiGo Shareમાં રોકાણ કરનાર રોકાણકારોના હાલ પણ બેહાલ થઈ ગયા છે. ફ્લાઇટ કેન્સલ થવાની સમસ્યાની અસરના પરિણામે માત્ર પાંચ દિવસમાં ઇન્ડિગો કંપનીને ભારે નુકસાન થયું છે. ઇન્ડિગોની પેરેંટ કંપની ઇન્ટરગ્લોબલ એવિએશન લિમિટેડના શેરમાં આ નુકસાન દેખાઈ રહ્યું છે. 

ઇન્ડિગોના શેરની વાત કરીએ તો છેલ્લા પાંચ કામના દિવસોમાં શેરનો ભાવ 8.76 ટકા સુધી ઘટી ગયો છે. રોકાણકારોને દરેક શેરમાં 515.50 રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા છ મહિનાના  IndiGo Stock Fallની વાત કરીએ તો તે ફક્ત 5.75 ટકા ઘટ્યો છે. છેલ્લા એક મહિનામાં કુલ મળીને 3.87 ટકાનો ઘટાડો થયો છે. જોકે, તાજેતરમાં ઇન્ડિગોના શેરમાં થયેલા ઘટાડાની અસર કંપનીની માર્કેટ કેપ પર પણ પડી છે. કંપનીની માર્કેટ કેપ ઘટીને 2.08 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ઇન્ડિગોમાં કેમ સર્જાઈ સમસ્યા

ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલની સમસ્યાને લઇને એરએશિયાના પૂર્વ CFO વિજય ગોપાલને જણાવ્યું કે, "વાસ્તવિક સમસ્ય બહુ ગાઢ છે, તેનું જલ્દી નિવારણ આવશે નહીં. સરકાર દ્વારા પાયલટને અઠવાડિયામાં 36 કલાક કામ કરવાના નિયમને બદલીને 48 કલાક કરવામાં આવ્યો છે. તેથી સ્વભાવિક છે કે, પાયલટ માટે ફ્લાઇટની સંખ્યા ઘટી જશે. આવા સંજોગોમાં કંપની જો પાયલટની સંખ્યામાં વધારો નથી કરતી તો, ફ્લાઇટ ઉડાવનારા પાયલટની સંખ્યા આપોઆપ ઘટી જશે. આવું જ હાલ ઇન્ડિગો સાથે થયું છે."