મુંબઇઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પર 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ' (FWICE) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સોમવારે સાંજે ફિલ્મ 'ડોન 3' ને લઈને ફિલ્મમેકર અને એક્ટર ફરહાન અખ્તર સાથે થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો હતો.
FWICE એ આ મામલે રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનો નિર્દેશ જારી કર્યો છે.એક અહેવાલ મુજબ, સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રણવીર સાથે કામ ન કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. અગાઉ, ફેડરેશનના મુખ્ય સલાહકાર, અશોક પંડિતે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દેવામાં આવશે નહીં.
શું છે ‘ડોન 3’નો આખો વિવાદ?
1978માં આવેલી અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ડોન અને શાહરુખ અભિનીત ડોન (2006) પછી આ ડોન ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. જાહેરાત સમયે કિયારા અડવાણીને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ પ્રેગ્નન્સી અને મેટરનિટી બ્રેકના કારણે કિયારાએ ફિલ્મ છોડી દીધી, જેના પછી ક્રિતી સેનનને કાસ્ટ કરવાના સમાચાર આવ્યા.
આ ફિલ્મ ફરહાન અખ્તર, હોમ પ્રોડક્શન એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવી રહ્યા હતા. ડોન 3 ને ચાલુ રાખવા માટે ફરહાને પોતાની બીજી ફિલ્મ જી લે ઝરા પોસ્ટપોન કરી દીધી.
ફિલ્મ મોડી પડતાં રણવીર સિંહ ધુરંધરમાં વ્યસ્ત થઈ ગયા. રિપોર્ટ્સ હતા કે 2025માં ડોન 3નું શૂટિંગ શરૂ થશે, પરંતુ પછી અચાનક રણવીર સિંહે ફિલ્મ છોડી દીધી. મેકર્સનો આરોપ છે કે રણવીર સ્ક્રિપ્ટમાં હસ્તક્ષેપ કરી રહ્યા હતા. તે ગાળાગાળી અને હિંસક દ્રશ્યોની માંગ કરી રહ્યા હતા, પરંતુ મેકર્સ આના પર રાજી ન થયા.
રણવીર સિંહ પાસે કરી ₹45 કરોડની માંગણી
ફેડરેશને દાવો કર્યો છે કે, એક્ટરે (રણવીર સિંહે) પોતે આવીને પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કરવામાં આવેલી ઘણી વિનંતીઓ (રિક્વેસ્ટ)નો કોઈ જવાબ આપ્યો નથી. 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ' (Excel Entertainment), જે 'ડોન ૩' (Don 3) ફિલ્મ બનાવી રહી છે, તેણે પણ રણવીર સિંહ પાસે ફિલ્મ છોડતા પહેલા પ્રી-પ્રોડક્શન (ફિલ્મ શરૂ થતા પહેલાની તૈયારીઓ) પર થયેલા ખર્ચના વળતર તરીકે 45 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
પ્રતિબંધ પર રણવીર સિંહની ટીમની પ્રતિક્રિયા
દરમિયાન, રણવીર સિંહના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, એક્ટર આ બાબતે ચાલી રહેલી અટકળોમાં વધુ કંઈ ઉમેરવા માંગતા નથી, અને તેઓ માને છે કે આવા પ્રોફેશનલ મતભેદોને ખાનગીમાં જ ઉકેલવા સૌથી વધુ યોગ્ય છે. એક્ટરના પ્રવક્તાએ ઉમેર્યું, 'Don 3 થી જોડાયેલી તાજેતરની ઘટનાઓ દરમિયાન, તેમણે જાણીજોઈને મૌન જાળવવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેઓ માને છે કે વ્યાવસાયિક ચર્ચાઓ અને વ્યક્તિગત સંબંધોને ગરિમા, સમજદારી અને પરસ્પર સન્માન સાથે જ સંભાળવા સૌથી સારા રહે છે.'