Fri Apr 17 2026

Logo

શું તમે પણ આખો દિવસ ACમાં રહો છો? જાણો સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસરો

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ઉનાળાનો પારો ગબડવાની સાથે જ લોકો ગરમીથી બચવા માટે એર કન્ડિશનર (AC)નો સહારો લઈ રહ્યા છે. ઓફિસ હોય કે ઘર, લોકો મોટા ભાગનો સમય બંધ રૂમમાં એસીની હવામાં રહેવામાં પસંદ કરે છે, પરંતુ તાજેતરના મેડિકલ રિપોર્ટ્સમાં ડોક્ટરોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એસીમાંથી નીકળતી કૃત્રિમ ઠંડી હવા આપણા શ્વસનતંત્ર પર સીધો હુમલો કરે છે. આ હવા માત્ર ત્વચાને સૂકી નથી બનાવતી, પરંતુ ફેફસાંની કુદરતી ભેજને પણ શોષી લે છે, જેના કારણે ઈન્ફેક્શનનો ખતરો અનેકગણો વધી જાય છે.

નિષ્ણાંતો પ્રમાણે, એસી રૂમની હવામાંથી ભેજને સંપૂર્ણપણે ખતમ કરી દે છે. જ્યારે આપણે આ સૂકી હવામાં શ્વાસ લઈએ છીએ, ત્યારે નાક અને ગળાની 'મ્યુકસ મેમ્બ્રેન' સુકાઈ જાય છે. આ મેમ્બ્રેન આપણને ધૂળ અને કિટાણુઓથી બચાવવાનું કામ કરે છે, પરંતુ તેના સુકાઈ જવાથી શરીરની કુદરતી સેફ્ટી લાઇન નબળી પડી જાય છે, પરિણામે શરદી, ઉધરસ અને સાઇનસ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે.

જો તમે અસ્થમા કે બ્રોન્કાઇટિસ જેવી બીમારીથી પીડાતા હોવ, તો એસીનો વધુ પડતો વપરાશ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઠંડી હવાના સંપર્કમાં આવતા જ શ્વાસની નળીઓ સંકોચવા લાગે છે, જેને મેડિકલ ભાષામાં 'બ્રોન્કોસ્પૈઝમ' કહેવામાં આવે છે. આ ઉપરાંત, જો એસીની સર્વિસિંગ સમયસર ન કરવામાં આવે તો તેના ફિલ્ટરમાં જમા થયેલી ફફૂંદ અને ધૂળના રજકણો સીધા ફેફસાં સુધી પહોંચે છે, જે ગંભીર એલર્જી અને અસ્થમાના એટેકનું કારણ બની શકે છે.

લાંબો સમય એસીમાં બેસી રહેવાથી ઘણા લોકોને માથામાં ભારેપણું કે થાક લાગે છે. આનું મુખ્ય કારણ બંધ રૂમમાં તાજી હવાનું સરક્યુલેશન ન હોવું છે. ઓક્સિજનનું સ્તર ઘટવું અને કાર્બન ડાયોક્સાઈડનું સ્તર વધવું એ 'સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ'ના લક્ષણો છે. આ સ્થિતિમાં લોકો સુસ્તી અનુભવે છે. આથી જ ડોક્ટરો સલાહ આપે છે કે દિવસમાં એકવાર બારી-બારણાં ખોલીને તાજી હવા અને સૂર્યપ્રકાશને અંદર આવવા દેવા જોઈએ જેથી બેક્ટેરિયાનો નાશ થાય.

નિષ્ણાતોના મતે એસીનું તાપમાન હંમેશા 24°C થી 26°C ની વચ્ચે રાખવું હિતાવહ છે. 16 કે 18 ડિગ્રી જેટલું નીચું તાપમાન શરીરના મેટાબોલિઝમ પર ખરાબ અસર કરે છે. આ સિવાય, એસીમાં રહેતી વખતે શરીરને હાઈડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવું જોઈએ. 
દર 15 દિવસે એસીના ફિલ્ટર સાફ કરવા અને એસી વાળા રૂમમાંથી સીધા તડકામાં ન જવું જોઈએ. બહાર જવાની 5-10 મિનિટ પહેલા એસી બંધ કરી દેવું જોઈએ જેથી શરીર બહારના તાપમાન સાથે અનુકૂલન સાધી શકે.