Mon May 25 2026

Logo

ધાર્મિક પ્રવાસો માટે ટ્રાવેલ્સની ભારે માગ, પણ ડિઝલની અછતને લીધે મુશ્કેલી

2 hours ago
Author: Pooja Shah
Article Image

ભાવનગરઃ યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિની સીધી માઠી અસર હવે ગુજરાતના પરિવહન ઉદ્યોગ પર વર્તાવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ડીઝલના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગ કટોકટીમાં મુકાયો છે. ઇંધણના અભાવે બસોનું સંચાલન ખોરવાઈ જતાં, એકલા ભાવનગર જિલ્લાની જ અંદાજે ૫૦% જેટલી ટ્રાવેલ્સ બસોના પૈડાં થંભી ગઈ હોવાનું એસોસિએશનનું કહેવું છે.

આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને સરકાર સમક્ષ ડીઝલની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા અને બંધ બસોનો ટેક્સ માફ કરવા માગણી કરી હતી. ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ અને અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલે પરિસ્થિતિની ગંભીરતા અંગે જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં ભાવનગરની નારી ચોકડી પરથી રોજના અંદાજિત ૮૦૦ થી ૮૫૦ જેટલી નાની-મોટી પ્રાઇવેટ બસો પસાર થાય છે. હાલ ઉનાળુ વેકેશન અને પવિત્ર અધિક માસ હોવાના કારણે હરિદ્વાર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી જેવા લાંબા અંતરના ધાર્મિક પ્રવાસો માટે બસોની ભારે ડિમાન્ડ છે. પરંતુ, હાલમાં હાઇવે પર આવેલા પેટ્રોલ પંપો પર બસોને માત્ર રૂ. ૨,૦૦૦ થી રૂ. ૫,૦૦૦ સુધીનું જ મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

હજારો કિલોમીટરની લાંબી મુસાફરી માટે આ જથ્થો અત્યંત ઓછો હોવાથી પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ટ્રાવેલ્સ સંચાલકોએ મજબૂરીમાં પોતાની અડધી બસો ગેરેજ અને હોલ્ડિંગ પ્લોટમાં ઊભી રાખી દેવી પડી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, બસો રોડ પર ન દોડતી હોવા છતાં સંચાલકોએ સરકારને નિયમિતપણે મોટો માસિક ટેક્સ ચૂકવવો પડે છે. ઇંધણના અભાવે ૧૫-૧૫ દિવસ સુધી બસો વગર ઓપરેશને ઊભી રહી હોવાથી, અખિલ ગુજરાત એસોસિએશન દ્વારા સરકારને આ દિવસોનો માસિક ટેક્સ માફ કરવા માટે સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ મુસાફરો પર બોજ બને તેવો કોઈ ભાડા વધારો ઇચ્છતા નથી અને પોતાનો વ્યવસાય ટકાવી રાખવા માંગે છે, પરંતુ આ માટે સરકાર વહેલી તકે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે તે અત્યંત અનિવાર્ય છે.