વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એન્ડોમેન્ટ્સ વિભાગમાં સહાયક કમિશનર કલિંગીરી શાંતિની આવક કરતાં વધુ સંપત્તિ'ના કેસમાં ધરપકડ કરી છે. એસીબીએ તપાસ દરમિયાન તેમની પાસેથી સોનું, ચાંદી અને રોકડ જપ્ત કરી છે.
એસીબીની ટીમોએ દરોડા પાડયા હતા
આ અંગે મળતી માહિતી મુજબ એસીબીએ મંગળવારે સહાયક કમિશનર (એન્ડોમેન્ટ્સ વિભાગ) કલિંગીરી શાંતિની મિલકતો પર દરોડા પાડ્યા હતા. એસીબીને માહિતી મળી હતી કે તેમની પાસે આવકના સ્ત્રોતો કરતાં ઘણી વધુ સંપત્તિ હતી. તેની બાદ એસીબીની ટીમોએ તાડેપલ્લી અને ઉંડાવલ્લી તેમજ વિશાખાપટ્ટનમમાં વિવિધ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાનઅધિકારીઓએ ઘણા ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
770 ગ્રામ સોનાના દાગીના અને 3 કિલોગ્રામ ચાંદી જપ્ત
એસીબીની ટીમને વિઝાગમાં રહેણાંક ફ્લેટ, કંચનપલ્લીમાં G+2 બિલ્ડિંગ, આશરે 770 ગ્રામ સોનાના દાગીના, લગભગ 3 કિલોગ્રામ ચાંદીના સામાન, રૂપિયા 1.15 લાખ રોકડા અને વિવિધ બેંક ખાતાઓમાં આશરે રૂપિયા 3 લાખ, એક કાર, એક મોટરસાયકલ અને અનેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતની સંપત્તિ જપ્ત કરી છે.
કલિંગીરી શાંતિને કસ્ટડીમાં લેવામાં આવ્યા
તપાસ અધિકારીઓએ સહાયક કમિશનર સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો છે. ACB અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ શોધખોળ અને સંપત્તિનું મૂલ્યાંકન હજુ પણ ચાલુ છે. યોગ્ય કાનૂની પ્રક્રિયા બાદ કલિંગીરી શાંતિને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેણીને વિજયવાડામાં એસીબી કેસ માટે ખાસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 2018 હેઠળ કેસ નોંધ્યો
ઉલ્લેખનીય છે કે, વિજયવાડા રેન્જના એસીબી અધિકારીઓએ 'ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 2018 હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. કલિંગીરી શાંતિને વર્ષ 2020 માં APPSC દ્વારા એન્ડોમેન્ટ્સ વિભાગમાં સહાયક કમિશનર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે વિશાખાપટ્ટનમ અને વિજયવાડા બંનેમાં પોતાની સેવાઓ આપી હતી. આરોપી અધિકારી જુલાઈ 2024 થી માર્ચ 2026 સુધી સસ્પેન્ડ હતા.