ગાંધીનગર: ગુજરાતના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજુઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે 29 મે ને શુક્રવારના દિવસે યોજાશે.
બકરી ઈદની જાહેર રજાના અનુસંધાને તારીખ બદલાઇ
રાજ્ય સરકારે ગુરૂવાર તા. 28મી મે ના જાહેર કરેલી બકરી ઈદની જાહેર રજાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મે-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે 29મી મે એ યોજવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કર્તાઓ તા. 29/05/2026ને શુક્રવારે સવારે 8.00થી 11.30 સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે.
સીએમ બપોર બાદ કાર્યક્રમમાં હાજર રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે તા. 29 મેના બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે તેમજ આવી રજૂઆતોના નિવારણ-ઉકેલ માટે તંત્રવાહકોનું માર્ગદર્શન કરશે.