Sat Apr 25 2026

Logo

'તાલ' ની સિક્વલને લઈને સુભાષ ઘાયે કરી મોટી જાહેરાત, રહેમાનનું સંગીત ફરી સાંભળવા મળશે?

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાયની અનેક એવી સફલ ફિલ્મ પૈકીની એક 'તાલ' ફિલ્મનો બીજો ભાગ બની રહ્યો છે. આ વાત ખુદ સુભાષ ઘાય એ કન્ફર્મ કરી દીધી છે. 'તાલ' ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અક્ષય ખન્ના, અનિલ કપૂરે લીડ રોલ પ્લે કર્યો હતો. હવે આ ફિલ્મની સિક્વલ આવી રહી છે. વર્ષ 1999માં આવેલી ફિલ્મ 'તાલ' એ સંગીતપ્રેમીઓને દિવાના કરી દીધા હતા. એ.આર. રહેમાનનું મ્યુઝિક અને એમાંય ક્લાસિકલ સાથે વેસ્ટર્ન બીટનો સંગમ એટલે સંગીત પ્રેમીઓ માટે આ ફિલ્મ કરતા ફિલ્મનું સંગીત સૌથી વધારે કર્ણપ્રિય રહ્યું હતું. 

ગીત પણ સુપરહિટ
ફિલ્મની સ્ટોરી જ નહીં, ફિલ્મના એકથી એક ગીત પણ ચડિયાતા હતા. એક લાંબા સમય બાદ હવે આ ફિલ્મની સિક્વલ બની રહી છે. આ ફિલ્મ સંબંધિત કેટલાક પ્રોજેક્ટ હવે ઓન ફ્લોર થવાની તૈયારીમાં છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુભાષ ઘાયે જણાવ્યું હતું કે, 'તાલ' ફિલ્મ જે નવી તૈયાર થવાની છે એની સ્ક્રિપ્ટ તૈયાર છે. આ વિષય સંબંધિત મેં એક પોસ્ટ પણ શેર કરી છે. છેલ્લા 15 વર્ષથી એ સવાલનો સામનો કરી રહ્યો છું કે શું 'તાલ-2' આવશે? એ સમયે બનેલી ફિલ્મ 'તાલ'ની એનર્જી છે એ આજની ઝેન ઝી જનરેશનને પણ પસંદ આવી રહી છે.  'તાલ' ફિલ્મનો વિષય જેટલો સરળ લાગે છે એટલો છે નહીં, આ એક ખૂબ જ મુશ્કેલ કામ છે. 

આવી ફિલ્મ માટે શુદ્ધતા જરૂરી
ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ લગભગ લગભગ ખતમ થવામાં છે. વિચાર એ કરી રહ્યા છીએ કે, ખરેખર ફિલ્મ બનાવવી કે નહીં. તાલ જેવી ફિલ્મ તૈયાર કરવા માટે ઘણી પારદર્શકતા અને શુદ્ધતા અનિવાર્ય છે. અક્ષય ખન્ના અને ઐશ્વર્યા જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા નવા કલાકાર તરીકે આવ્યા હતા એ સમયે 'તાલ' ફિલ્મ આવી હતી. એટલા માટે એ સમયે એ પ્યોરિટી સ્ક્રિન પર જોવા મળી હતી.  અનિલ કપૂર પણ આ ફિલ્મના એક સ્ટાર હતા એમને પણ એક સ્ટાર તરીકે જ રજૂ કરવામાં આવ્યા છે. એક સારી સ્ક્રિપ્ટ લખવાની સાથે એક મોટી જવાબદારી કાસ્ટિંગની પણ હોય છે. મારી જે ફિલ્મ ચાલી નથી એમાં ભૂલ માત્ર એટલી જ હતી કે, કાસ્ટિંગ યોગ્ય ન હતું. 

કાસ્ટિંગ ફાઈનલ નથી
સૈયારા ફિલ્મની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અહાન પાંડે અને અનીત પડ્ડાની એક્ટિંગ દમદાર છે. હાલમાં 'તાલ-2' ફિલ્મની કાસ્ટિંગ ફાઈનલ થઈ નથી. 'તાલ' ફિલ્મ એક એવી ફિલ્મ હતી જેમાં કોઈ વિલન ન હતો. વિલન વગર પરિસ્થિતિને વિલન બનાવીને રજૂ થયેલી ફિલ્મ ખરેખર સુપરહિટ થઈ હતી. ખાસ કરીને એના મ્યુઝિકના જોરશોરથી વખાણ થયા હતા. પોતાની પોસ્ટ પર સુભાષ ઘાયે લખ્યું હતું કે, શું અમે ફરીથી તાલ-2 ફિલ્મ બનાવી શકીએ છીએ? હવે આ ફિલ્મ જો ફરીવાર સ્ક્રિન સુધી પહોંચી અને સ્ટોરી યોગ્ય રહી તો વધુ એક સિક્વલ ફિલ્મ બનશે. પણ 'તાલ-2' એ 'તાલ' જેવું સંગીત આપશે કે નહીં એની ગેરન્ટી નથી.