મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર નિવેદનથી માહોલ ગરમાતો રહ્યો છે. હવે સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી વિશે નિવેદન કરી દેતા ફરી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. અજિત પવારના NCP જૂથમાં અંદરોઅંદરની ખટપટ વચ્ચે શિવસેના જુથના નેતા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. સંજય રાઉતે એવો આરોપ મૂક્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી અન્ય રાજકીય પાર્ટીને તોડવાનું કામ કરી રહી છે.
ભાજપમાં જોડાઈ શકે છે MLA
અજિત પવાર જૂથના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. એકનાથ શિંદે જૂથના શિવસેનાના કેટલાક ધારાસભ્યો પણ ભાજપનો ખેસ પહેરી શકે છે. NCPના સુનેત્રા પવારને ચૂંટણીપંચને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે, પાર્ટી તરફથી આ પહેલા પણ ઘણા પત્રો લખવામાં આવ્યા હતા જેના પર કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી. સંજય રાઉતે જલગાંવથી ભાજપ પર આરોપ મૂકતા આ વાત કહી હતી. સંજયે ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને તોડી શકે છે. આવી જ સ્થિતિ શિવસેનાની થઈ શકે છે. આ બન્ને પાર્ટીમાંથી કેટલાક ધારાસભ્યો ભાજપને કેસરિયો ધારણ કરી શકે છે.
અંદરોઅંદર ખટરાગનો લાભ કોને?
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના લોકોનું એવું કહેવું છે કે, NCP માં જે અંદરોઅંદર ખટરાગ ચાલી રહ્યો છે, મતભેદ સામે આવી રહ્યા છે એના પરથી સંકેત મળે છે કે, આવનારા દિવસોમાં પાર્ટીમાં બે મોટી તિરાડ પડી શકે છે. શિવસેના અને NCPમાં બે ભાગ પડી શકે છે.સંજય રાઉતે આ બન્ને રાજકીય પક્ષોમાં ચાલી રહેલી ખેંચતાણ અંગે ભવિષ્યવાણી કરી છે. પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે પાર્ટીનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે એવો આરોપ લાગ્યો હતો. આ પછી સુનેત્રા પવારે ચૂંટણીપંચને પત્ર લખ્યો હતો કે, તે પાર્ટીના મુખ્ય વ્યક્તિ છે અને જો કોઈએ પાર્ટી સાથે જોડાયેલી કોઈ કોઈ અપીલ કરી છે તો એને ધ્યાન લેવામાં ન આવે. પ્રફુલ પટેલ હાલમાં NCPના વર્કિગ પ્રેસિડન્ટ છે જ્યારે સુનિલ તટકરે મહારાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ છે.