સુરેન્દ્રનગર: ગુજરાતના રાજકારણમાં છેલ્લા દિવસોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય આમ આદમી પાર્ટીમાથી રાજીનામું આપીને ભાજપ સાથે જોડાયેલા રાજૂ કરપડા. જો કે વિધિવત રીતે ભાજપમાં જોડાયા બાદ બીજા જ દિવસે ભાજપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજૂ કરપડા પાસે 3.12 કરોડની સંપતિ હોવાનું ખૂલ્યું છે.
આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનાર રાજૂ કરપડા હવે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠકના ઉમેદવાર છે. ત્યારે હવે ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં રાજૂ કરપડાએ તેમની સંપતિ અને પોલીસ કેસ અંગેનો ખુલાસો કર્યો હતો. મળતી વિગતો અનુસાર, ચૂંટણી પંચમાં રજૂ કરેલ સોગંદનામાની અંદર રાજૂ કરપડાએ તેમના પર 6 કેસ હોવાનું સ્વીકાર્યું છે. જેમાં મુળી, થાનગઢ, નીલમબાગ અને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સોગંદનામામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, રાજૂ કરપડા પાસે અંદાજિત કુલ સંપત્તિ રૂ. 3,12,62,000 જેટલી થાય છે. સ્થાવર મિલકતમાં 57.03 વીઘા જમીન છે, તે ઉપરાંત તેમની પાસે રૂ. 48,170, પત્ની પાસે રૂ. 10,000 અને બે આશ્રિતો પાસે રૂ. 2,000-રૂ. 2,000 મળીને કુલ રૂ. 62,170 રોકડ છે. કિંમતી ધાતુઓમાં પરિવાર પાસે કુલ 460 ગ્રામ સોનું છે જેની અંદાજિત કિંમત રૂ. 69,00,000 થાય છે તેમજ વાહનોમાં રૂ. 28,50,000 ની કિંમતના કુલ 5 વાહનો છે.