અમદાવાદઃ વૈશ્વિક અશાંતિને કારણે ગુજરાતના ઘણા ઉદ્યોગોને માઠી અસર થઈ છે, જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ છે. ગેસના અભાવે મોટાભાગના યુનીટ્સ લગભગ 15-20 દિવસથી બંધ છે ત્યારે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે મોરબીમાં લગભગ ૧૪૨ સિરામિક યુનિટ હાલમાં કાર્યરત છે.આ પ્રદેશમાં પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) ના અધિકૃત સપ્લાયર જીજીએલએ સિરામિક ઉદ્યોગને પૂરજોશમાં ટેકો આપ્યો છે.
રિલીઝ અનુસાર, ફેબ્રુઆરી 2026 માં કટોકટી પહેલા, લગભગ 377 સિરામિક યુનિટ્સ જીજીએલ દ્વારા પૂરા પાડવામાં આવતા પીએનજીનો ઉપયોગ કરતા હતા, જ્યારે લગભગ 415 યુનિટ્સ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી મેળવેલા પ્રોપેન પર આધારિત હતા. એકસાથે, આ યુનિટ્સ પ્રતિ દિવસ આશરે 5.6 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરઇંધણનો વપરાશ કરતા હતા, જેમાં પ્રોપેનનો હિસ્સો લગભગ 70 ટકા હતો.
જોકે, પુરવઠો ન મળતા અને વધતા જતા ઇંધણના ખર્ચને કારણે ઘણા એકમોએ માર્ચના બીજા-ત્રીજા અઠવાડિયામાં સ્વેચ્છાએ એકમો બંધ કરી નાખ્યા હતા. જ્યારે જીજીએલએ પ્રોપેનથી કુદરતી ગેસ પર નિર્ભરતા બદલવા માટે ઉત્પાદકો સાથે વાતચીતો કરી અને ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર પુરવઠો પૂરો પાડ્યો છે. છેલ્લા છ મહિનામાં નોંધાયેલા સરેરાશ વપરાશના 80% પર વિતરણ જાળવી રાખ્યું હોવાનું જીએલએલએ જણાવ્યું હતું.
જીજીએલની ટીમો સતત સિરામિક એસોસિએશન સાથે સંકલનમાં છે, જેથી ભાવ અને પુરવઠાના પ્રશ્નો ઉકેલી શકાય. વર્તમાન પડકારો વચ્ચે જીજીએલ મોરબીના સિરામિક ઉદ્યોગની સાથે અડગ ઊભું છે. પરસ્પર વિશ્વાસ દ્વારા આપણે આ મુશ્કેલીઓ પાર કરી ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જઈશું, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.