Fri Apr 17 2026

Logo

જામનગરમાં 'આપ'ની સભામાં હંગામો: ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું

4 months ago
Author: Vimal Prajapati
Article Image

જામનગરઃ જામનગરના ટાઉનહોલમાં આ5 ડિસેમ્બર શુક્રવારની સાંજે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેર સભામાં મોટ હંગામો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે ગોપાલ ઈટાલિયાના વક્તવ્ય સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવતા સભામાં ખળભળાટ મચી ગયો હતો. જૂતું ફેંકવાની ઘટના બનતા જ ભારે દોડધામ મચી હતી.

ગોપાલ ઇટાલિયા પર હુમલો થતા સભામાં ખળભળાટ

વધારે વિગતે વાત કરવામાં આવે, આ ઘટનાને પગલે સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ પોલીસે જૂતું ફેંકનારની અટકાયત કરી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.

હુમલા અંગે આમ આદમી પાર્ટીએ ભારે ચિંતા વ્યક્ત કરી

આ સમગ્ર કાર્યક્રમ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જેનબબેન ખફી અને અસલમ ખિલજીના આમ આદમી પાર્ટી (આપ)માં જોડાવાના મુદ્દે જ આયોજિત કરવામાં આવ્યો હતો, અને આ  કાર્યક્રમ દરમિયાન જ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. આ પ્રસંગે આ આદમી પાર્ટીના કાર્યક્રમમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટના મામલે આમ આદમી પાર્ટીએ ભારે ચિંતા વ્યક્ત કરી અને પોલીસને કાર્યવાહી કરવા માટે પણ અપીલ પણ કરી છે.