પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં પૂરતું એલપીજી ઉપલબ્ધ છે અને લોકોએ ગેસ માટે કતારમાં ઉભા રહેવાની જરૂર નથી, તેમણે કોંગ્રેસ પર પશ્ર્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોમાં ભય પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેઓ ઈરાન સાથે ચાલી રહેલા યુએસ-ઇઝરાયલ યુદ્ધને કારણે દેશમાં રસોઈ ગેસની અછતના આરોપો અંગેના સવાલોના જવાબ આપી રહ્યા હતા.
‘રાહુલ ગાંધી અને કોંગ્રેસ જાણી જોઈને લોકોમાં ભય પેદા કરી રહ્યા છે, જેના પરિણામે નાગરિકો એલપીજી સિલિન્ડર માટે કતારોમાં ઉભા છે. અમારી પાસે પૂરતો ગેસ પુરવઠો છે. એલપીજી માટે ક્યાંય પણ કતારમાં ઉભા રહેવાની બિલકુલ જરૂર નથી,’ એમ તેમણે કહ્યું હતું.
ઈરાન અને ઓમાન વચ્ચેના સાંકડા જળમાર્ગ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી, પશ્ર્ચિમ એશિયાના સંઘર્ષે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા પર અસર કરી છે.
કેન્દ્રએ કહ્યું છે કે તે ઘરેલુ રસોઈ અને હોસ્પિટલો જેવા આવશ્યક ક્ષેત્રો માટે એલપીજીને પ્રાથમિકતા આપી રહ્યું છે, જ્યારે રેસ્ટોરન્ટ સહિત બિન-આવશ્યક વ્યાપારી સાહસોને પુરવઠો મર્યાદિત પ્રમાણમાં કરી રહ્યું છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશમાં ઘરેલુ એલપીજીની કોઈ અછત નથી.