વર્ધા: વર્ધા જિલ્લામાં રવિવારે જમીનના વિવાદે લોહિયાળ વળાંક લીધો હતો, જેમાં લગ્ન સમારંભમાં સગીરે તેના કાકા અને પિતરાઇ ભાઇની ચાકુના ઘઆ ઝીંકી કરપીણ હત્યા કરી હતી.
જિલ્લાના બર્બદી ગામમાં રવિવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
લગ્ન સમારંભ દરમિયાન સગીરનો તેના કાકા પ્રભાકર ભાલમે (50) અને પિતરાઇ ભાઇ રિતેશ (24) સાથે ઝઘડો થયો હતો, જે ઉગ્ર બનતાં સગીરે રોષે ભરાઇને પ્રભાકર અને રિતેશ પર ચાકુના ઘા ઝીંકી દીધા હતા, જેમાં તેમના ઘટનાસ્થળે મોત થયાં હતાં.
પરિવારના સભ્યો વચ્ચે લાંબા સમયથી જમીનને લઇ વિવાદ ચાલી રહ્યો હતો અને આ હુમલો તેનું પરિણામ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તેમણે સગીરને તાબામાં લઇને તેની પૂછપરછ આદરી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
લગ્ન સમારંભમાં અચાનક થયેલા હુમલાને કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. એ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)