આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયલનાં સંયુક્તપણે ઈરાન પરનાં હુમલાઓ અને તેનાં જવાબમાં ઈરાનના અખાતી દેશો પર થઈ રહેલાં હુમલા ઉપરાંત સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલ અને લિક્વિફાઈડ નેચરલ ગૅસ (એલએનજી)ના શિપમેન્ટો સ્ટ્રેટ ઑફ હોમુર્ઝ માર્ગથી જ પસાર થતા હોય છે, પરંતુ આ માર્ગ બંધ થવાને કારણે ક્રૂડતેલના શિપમેન્ટો ખોરવાઈ જતાં વૈશ્વિક બજારમાં ગત સપ્તાહે ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા.
વધુમાં રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધમાં પણ છમકલાઓ થઈ રહ્યા છે. આમ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવની સ્થિતિ પ્રવર્તી રહી હોવાથી આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર છે. વધુમાં ક્રૂડતેલના ભાવમાં થયેલા વધારાને કારણે ફુગાવામાં થનારા અપેક્ષિત વધારાની ભીતિ પણ સેવાઈ રહી છે. હાલની આ સ્થિતિમાં ભારત સહિતના ઈક્વિટી માર્કેટમાં પણ એકતરફી ધોવાણ જોવા મળ્યું છે.
સામાન્યપણે આર્થિક અને ભૂરાજકીય અનિશ્ચિતતાના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપે તેવી સોના-ચાંદી સહિતની કિંમતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે, તેમ છતાં હાલના તબક્કે ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાથી ફુગાવો વધવાની શક્યતા પ્રબળ છે અને જો ફુગાવામાં વધારો થાય તો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પાતળી બને તેમ હોવાથી સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં ભાવવધારો અટક્યો છે.
વધુમાં તાજેતરમાં વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ઑલ ફોલ ડાઉનનું વલણ રહ્યું હોવાથી અમુક અંશે ઈક્વિટીમાં રોકાણકારોને થયેલી નુકસાની સરભર કરવાને કારણે પણ સોના-ચાંદીમાં વેચવાલીનું દબાણ રહેતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં બે ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી આવ્યા હતા.
વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે સોના અને ચાંદીના ભાવ બેતરફી વધઘટના અંતે ઘટાડાના વલણ સાથે બંધ રહ્યા હતા. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત છઠ્ઠી માર્ચના રૂ. 1,58,751ના બંધ સામે સાધારણ સુધારા સાથે રૂ. 1,59,568ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. 1,60,692 સુધી પહોંચ્યા બાદ સપ્તાહના અંતે સૌથી નીચી રૂ. 1,58,399ની સપાટીએ બંધ રહ્યા હતા અને સાપ્તાહિક ધોરણે રૂ. 352નો અથવા તો 0.22 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના રૂ. 2,60,723ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,62,803ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,59,951 અને ઉપરમાં રૂ. 2,72,830ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 0.09 ટકા અથવા તો રૂ. 235ના ઘટાડા સાથે રૂ. 2,60,488ના મથાળે બંધ રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર ગત સપ્તાહે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 48 પૈસાનું ધોવાણ થયું હોવાથી સોનાની આયાત પડતરો વધવાને કારણે વૈશ્વિક બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત માત્રામાં રહ્યો હતો. એકંદરે ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં માત્ર રોકાણકારોની જોવા મળેલી છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી, જ્યારે ચાંદીમાં મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એકંદરે વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકા-ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેના વિવાદને કારણે ક્રૂડતેલના ભાવ વધવાને કારણે ફુગાવો વધવાથી અમેરિકા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઓસરી જવાથી સોનાના ભાવમાં સતત બીજા સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે ભાવઘટાડો જોવા મળ્યો છે.
નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલે સંયુક્તપણે હુમલો કર્યા બાદ અત્યાર સુધીમાં સોનાના વૈશ્વિક ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો આવી ગયો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવની તેજીને કારણે વૈશ્વિક સ્તરે ફુગાવો વધી આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પાતળી બનવાની સાથે વર્ષના અંત આસપાસ પણ વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી 70 ટકા શક્યતા બજા…