Mon May 25 2026

Logo

આજે ફરી ઝીંકાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો, આ રીતે ચેક કરો તમારા શહેરનો રેટ

1 hour ago
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ઈરાન સંકટના કારણે દેશમાં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે.  10 દિવસમાં ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.61નો કરાયો વધારો કરાયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.71નો વધારો થયો છે. 15 મે ના રોજ  પેટ્રોલ-ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કરાયો હતો. જ્યારે 19 મે ના રોજ પેટ્રોલમાં પ્રતિ લિટર 90 પૈસા અને 23 મે ના રોજ 87 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો થયો હતો.

નવા દર બાદ દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી ગઈ છે. જેનાથી આમ આદમી પર મોંઘવારીનો વધુ એક માર પડી શકે છે. આજે સવારે 6 વાગ્યાથી નવી કિંમત લાગુ થઈ ગઈ છે.

પેટ્રોલના નવા ભાવ

દિલ્હીઃ
102.12 રૂપિયા

કોલકાતાઃ 113.51 રૂપિયા

મુંબઈઃ 111.21 રૂપિયા

ચેન્નઈઃ 107.77 રૂપિયા

ડીઝલના નવા ભાવ

દિલ્હીઃ
95.20 રૂપિયા
કોલકાતાઃ 99.82 રૂપિયા
મુંબઈઃ 97.83 રૂપિયા
ચેન્નઈઃ 99.55 રૂપિયા


અમદાવાદમાં શું છે સ્થિતિ

અમદાવાદમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે રૂ. 2.60 અને ડીઝલમાં પ્રતિ લિટર રૂ. 2.80નો વધારો થયો છે. જે બાદ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 101.66 અને ડીઝલનો ભાવ રૂ. 97.78 પર પહોંચ્યો છે.

SMS થી આ રીતે ચેક કરો કિંમતો

ઈન્ડિયન ઓઈલનનો ભાવ જાણવા RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો. ભારત પેટ્રોલિયમનો ભાવ જાણવા RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ભાવ જાણવા  HP Price લખીને 9222201122 પર  SMS કરો.

તમામ વસ્તુના વધશે ભાવ 

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે પરિવહન અને લૉજિસ્ટિક્સનો ખર્ચ વધી શકે છે. જેનાથી જીવન જરૂરી ચીજો અને ખાદ્ય વસ્તુઓના ભાવ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સરકારી અધિકારીઓએ પહેલા જ કહ્યું હતું કે, સતત ભૂ રાજકીય તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે વધતાં આયાત ખર્ચને નિયંત્રિત રાખવા તથા પુરવઠામાં  સ્થિરતા જાળવી રાખવા આ વધારો કરવો જરૂરી હતો.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓને કેટલું નુકસાન

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધના બે મહિના બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને થયેલું નુકસાન અસહ્ય બની ગયું હતું. એક અંદાજ પ્રમાણે, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને સંયુક્ત રીતે દરરોજ 1000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન વેઠ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં એપ્રિલ 2022થી ઈંધણના ભાવ સ્થિર હતા. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.