Fri Apr 17 2026

Logo

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં  ભારે વરસાદથી 45 લોકોના મોત, 105 ઘાયલ

khyber pakhtunkhwa   1 week ago
Author: chandrakant Kanoja
Article Image

 

ખૈબર પખ્તુનખ્વા: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સતત ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 10 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 45 લોકોનાં મોત થયા છે અને 105 લોકો  ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ અંગે  પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા રવિવારે આ માહિતી આપી  હતી. 

જાનમાલનું વ્યાપક નુકસાન થયું 

પીડીએમએ  રિપોર્ટ અનુસાર  25 માર્ચથી સતત પડી રહેલા સતત વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં 23 બાળકો, 17 પુરુષો અને 5 મહિલાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન  ઘાયલોમાં 45 પુરુષો, 16 મહિલાઓ અને 44 બાળકોનો સમાવેશ થાય છે. તેમજ  ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ઘરોની છત અને દિવાલો તૂટી પડી  જેના કારણે જાનમાલનું વ્યાપક નુકસાન થયું.

382 ઘરોને આંશિક નુકસાન થયું 

અહેવાલ મુજબ, 442 ઘરોને અસર થઈ છે. જેમાંથી 382 ઘરોને આંશિક નુકસાન થયું છે જ્યારે 60 સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ અસરગ્રસ્ત ઘરો બે ડઝનથી વધુ જિલ્લાઓમાં સ્થિત છે. પીડીએમએ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, જેમાં પીડીએમએ રેસ્ક્યુ 1122, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત એજન્સીઓ નજીકના સંકલનમાં કામ કરી રહી છે.

9 એપ્રિલ સુધી ભારે વરસાદની ચેતવણી 

પીડીએમએના મહાનિર્દેશકે ચેતવણી જાહેર  કરી છે કે 9 એપ્રિલ સુધી પ્રાંતના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને સંવેદનશીલ વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા અને સરકારી નિર્દેશોનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.